- હવે પછી થાળીમાં ગવારશિંગનું શાક પીરસાય ત્યારે ગવારશિંગની હાંસી કરતાં પહેલાં એટલું યાદ કરી લેજો કે અમેરિકાની મોટી ક્રુડ ઓઇલ કંપનીઓથી માંડીને 'નેસ્લે'બહુરાષ્ટ્રિય કંપનીઓ ભારતમાં ગુવારનો પાક કેવો ઉતરે છે, તેની પર નજર રાખે છે...
ભારતના સામાજિક વ્યવહાર, રાજકારણ અને પ્રસાર માધ્યમોમાં વખતોવખત ચમક્યા કરતું એકમાત્ર શાક એટલે ડુંગળી. તેનો ઉલ્લેખ પણ મોટે ભાગે કકળાટાત્મક જ હોય.. ડુંગળીના ભાવ બહુ વધી ગયા... ગરીબોને પોસાતી નથી ને પૈસાદારોને રેસ્ટોરાંમાં ડિશમાં મળતી નથી... ડુંગળીના ભાવ કેમ વધે છે એ વિશેનાં અવનવાં 'પડીકાં' ફરતાં રહે છે. તેમાં સૌથી મૌલિક ૧૯૯૮ના પોખરણ અણુપરીક્ષણ વખતનું હતું.... 'ડુંગળી મોઘી જ થાય ને. પોખરણના અણુધડાકા પછી કિરણોત્સર્ગ- રેડિએશન ફેલાય નહીં, એ માટે ધડાકાની જગ્યાઓ પર ટ્રકોની ટ્રકો ભરીને ડુંગળી ઠાલવવામાં આવી છે.'
સમાચારોની દૃષ્ટિએ હાઇ પ્રોફાઇલ ગણાય એવી ડુંગળી સામે, રમૂજમાં 'ઢોરોનો ખોરાક' ગણાતી ગવારશિંગની શી હસ્તી? ગુજરાત સહિત ભારતનાં બીજાં રાજ્યોમાં ગવારશિંગનું શાક ખવાય છે, સૂકવણી તરીકે તેમનો ઉપયોગ થાય છે. પરંતુ ભાણામાં તેને કદી મોભાદાર દરજ્જો મળ્યો નથી. આ થઇ શાકની વાત, પણ ગવારશિંગનો અસલી મહિમા શાક તરીકેનો નથી. છેલ્લાં બે-ત્રણ વર્ષની કેટલીક વિગતો પર નજર નાખ્યા પછી મામૂલી જણાતી ગવારશિંગનું 'બ્રહ્મસ્વરૃપ' સમજાઇ શકે છે.
'ભારતમાંથી સૌથી વધુ નિકાસ કયા ખેતપેદાશની થાય છે?' આવા સવાલના જવાબ માટે બાવીસ નહીં, બે વિકલ્પ આપ્યા હોય અને તેમાં એક નામ ગવારશિંગનું હોય તો મોટા ભાગના લોકો ગવાર સિવાયનો વિકલ્પ પસંદ કરે. થોડા જાણકારોના મનમાં કદાચ વિશ્વપ્રસિદ્ધ બાસમતી ચોખાનું નામ આવી શકે. પરંતુ હકીકત એ છે કે આ મોભાદાર સ્થાન 'ગુઆર ગમ' તરીકે ઓળખાતા ગવારસિંગના બીયાના પાવડરનું છે.



